માંગરોળમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતૂર, કોસાડી ગામે કીમ નદી ઓવરફ્લો, મુસ્લિમ-આદિવાસી વિસ્તારોમાં પૂરની સ્થિતિ

By: Krunal Bhavsar
04 Sep, 2025

સુરત : સુરત જિલ્લામાં ( Surat ) મુશળધાર વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે માંગરોળ તાલુકાના ગામડાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને કોસાડી ગામમાં કીમ નદીનું પાણી ગામના નીચાણવાળા વિસ્તારોમાં જેમાં મુસ્લિમ અને આદિવાસી ફળિયાઓમાં ઘૂસી જતાં સ્થાનિકોમાં ચિંતાનો માહોલ છવાયો છે. સતત વધતું જળસ્તર ગામવાસીઓ માટે મુશ્કેલીનું કારણ બન્યું છે, અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

Surat : કીમ અને ભૂખી નદીઓનું જળસ્તર ખતરનાક સપાટી પર

સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદને કારણે કીમ અને ભૂખી નદીઓનું જળસ્તર ખતરનાક સપાટીએ પહોંચી ગયું છે. માંગરોળ તાલુકાના કોસાડી, લુવારા, સિયાલજ, કુવારડા, હાથોડા, પાલોદ, કોઠવા, પીપોદરા, મોટા બોરસરા, નાના બોરસરા, અને મોટી નારોલી જેવા ગામોમાં પાણી ફરી વળ્યું છે. કોસાડી ગામમાં કીમ નદીનું પાણી મુસ્લિમ અને આદિવાસી ફળિયાઓમાં ઘૂસી ગયું હોવાના અહેવાલ છે, જેના કારણે ઘણા ઘરો અને ખેતરોમાં પાણી ભરાયું છે.

ભારતીય હવામાન વિભાગ (IMD)એ સુરત, નવસારી, વલસાડ, અને ભરૂચ જેવા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગામી 48 કલાક સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આ સ્થિતિમાં જળસ્તર વધુ વધવાની શક્યતા છે, જેના કારણે વધુ ગામો પ્રભાવિત થઈ શકે છે. સુરત જિલ્લા વહીવટે લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી ખસી જવા અને સલામત સ્થળોએ આશરો લેવા અપીલ કરી છે.

સતત વધી રહેલી જળસપાટીના કારણે તંત્ર એલર્ટ

સુરત જિલ્લામાં સતત વરસાદ વરસવાના કારણે જળસ્તર વધી રહ્યું હોવાના કારણે તંત્ર એલર્ટ થઈ ગયું છે. મળી રહેલી માહિતી અનુસાર, જો વધારે વરસાદ ચાલું રહે તો રેસ્ક્યૂ ઓપરેશન પણ ચાલું કરવો પડી શકે છે. બચાવ કામગીરી માટે તંત્ર તૈયાર હોવાની માહતી પણ સામે આવી રહી છે. તો બીજી તરફ નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. કાંઠા વિસ્તારના લોકોને નદી કાંઠે ન જવા માટે તાકીદ કરવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે, આ વખતે ગુજરાતમાં મેઘરાજાએ બરાબરની બેટિંગ કરી છે. તેથી પાછલા દિવસોમાં પણ અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઉદ્દભવી હતી. ખાસ કરીને સૌરાષ્ઠ અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ થયો છે. આ વચ્ચે ખેડૂતોના પાકને નુકશાન થવાના પણ સમાચાર સામે આવ્યા છે.


Related Posts

Load more